પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે સામુહિક ચેકડેમ યોજના જેવી જળસંચયની વિશાળ યોજનાના અમલીકરણ માટે લોકોની સામેલિયત, તેમનો સહકાર, તેમની સભાનતા અને તેમની ઇચ્છાશક્તિ એ ખુબ જ મહત્વના હોય આ યોજનામાં લોકોને સામેલ કરવા અને આવી જળસંચય યોજનાને સરકારી યોજના નહિ પરંતુ પોતાની યોજના માને તેવા હેતુથી ટ્રસ્ટે જળસંચય અંગેની જન-જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજ્યા છે. તેની ખુબ જ હકારાત્મક અસરથી સૌરાષ્ટ્રના ગામે ગામમાં જળસંચયની પ્રવુતિ વેગ વંતી બની છે અને વધુને વધુ લોકો આ યોજના બનાવવા આગળ વધી રહ્યા હતા પાછલા તેર વર્ષમાં થયેલા આવા સંખ્યાબંધ વિશાળ કાર્યક્રમો ટ્રસ્ટે પોતાના ખર્ચે સરકારની કોઈપણ જાતની સહાય વગર જ યોજ્યા છે.  ગ્રામ સભાઓ : સૌરાષ્ટ્રના દુર દુરના અંતરિયાળ ગામડાઓ કે જ્યાં વરસાદી પાણીને રોકવા માટે જન-જાગૃતિનો અભાવ હતો એવા ગામોમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખશ્રી એ અન્ય  ટ્રસ્ટીઓ સાથે વારંવાર પ્રવાસ કરી મુલાકાત લીધી છે. આજ સુધીમાં ૩૨૦૦ ગામોની મુલાકાત લઈને તેમાં ગ્રામસભાઓ યોજી છે. ગામ લોકોને જળસંગ્રહ યોજના માટે નિર્ધાર કરવા પ્રોત્સાહિત કર્યા છે. તેમનો નાણાકીય તેમજ શ્રમદાન હિસ્સો વધારવા માટે ઉતેજન આપ્યું છે. કોઈપણ ગામમાં ઉદભવતા સામાજિક કે રાજકીય પ્રશ્નોનો હલ કરવા સમજાવી, સરકારશ્રી તરફથી મળતી નાણકીય સહાય મેળવવાની કાર્ય વિધિમાં મદદ કરી છે જે તે ગામના સમૃધ્ધ વેપારીઓ પાસેથી ફાળો એકત્રિત કરાવવા માટે પણ મદદ કરી છે. બાકીના ગામોમાં સુરતમાં વસતા અને સૌરાષ્ટ્રના વતની એવા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૩ લાખ સદસ્યોએ તેમના ગામમાં ગ્રામ સભાઓ કરી અને જળસંચય અભિયાન ચલાવવા પ્રયત્નો કર્યા છે અને હજી વધુ પ્રયત્નો કરી રહ્યું છે. પદયાત્રાઓ : – ભીમડાદ થી ભાદ્રોડ પદયાત્રા :   ખોપાળા ગામમાં મળેલી અદભુત સફળતા લોકો સુધી પહોચાડવાની પ્રબળ ઈચ્છા અને ઉદાત ભાવનાથી શ્રી મથુરભાઈ સવાણી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ ના નેજા હેઠળ ગઢડા તાલુકાનાં ભીમડાદ ગામ  થી મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ સુધીની ભાવનગર જીલ્લાના ૯ તાલુકાને આવરી લેતી ૧૪-૧૧-૧૯૯૯ થી ૧૯-૧૧-૧૯૯૯ દરમ્યાન પદયાત્રાનું આયોજન કર્યું હતું . આ પદયાત્રાને  વિધાનસભાનાં અધ્યક્ષશ્રી ધીરુભાઈ શાહે ભીમડાદ થી લીલીઝંડી આપી પ્રસ્થાન કારવ્યું હતું. આ પદયાત્રામાં મુંબઈ, સુરત અને ભાવનગરના ડાયમંડ ઉદ્યોગના ૩૦૦ અગ્રણીઓ અને સંખ્યાબંધ સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા. પદયાત્રાના રાત્રી રોકાણના કાર્યક્રમોમાં અનેક મહાનુભાવોએ હાજર રહી ચેકડેમ યોજના અપનાવવા લોકોને અપીલ કરતા હતા. આ પદયાત્રાને આધુનિક યુગના ક્રાંતિકારી  સંત શ્રી સચ્ચિદાનંદજી મહારાજે ગાંધીજી દ્વારા કરાયેલી દાંડીયાત્રા પછીની મહત્વની ઐતિહાસિક પદયાત્રા ગણાવી છે. ટ્રસ્ટે આ પદયાત્રા દ્વારા ભાવનગર જીલ્લાના ૯ તાલુકાના ૪૨ ગામના સંખ્યાબંધ લોકોનો સીધો સંપર્ક કરી જળસંચય યોજના અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પદયાત્રા દરમ્યાન જે જે ગામોમાંથી પદયાત્રા પસાર થઇ તે તે ગામોમાંથી પદયાત્રીઓનું તમામ જ્ઞાતિના ગામ લોકોએ  જે ઉત્સાહથી વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું  તે અવર્ણનીય છે. મોંઘા  મહેમાન આવ્યા હોય તે રીતે ઠેર ઠેર થતા વધામણા તથા નાની બાળાઓથીમાંડી વૃધ્ધો સુધીના હૈયામાં જે ઉત્સાહ છલકી રહ્યો હતો તે જોઈ પદયાત્રીઓને લાગેલો થાક દુર થઇ જતો. ગામલોકો પણ સમજી ગયા હતા કે આ તો કોઈ વિરલ યાત્રા છે મથુરભાઈ પોતાનો થાક વિસરીને એટલા ઉત્સાહથી હદયની લાગણીઓ લોક સમુદાય સમક્ષ રજુ કરી રહ્યા હતા કે લોકો સંભાળતા થાકતા ન હતા. પ્રખર પંડિતો જે વાત ગળે ઉતારી ન શકે તે વાત મથુરભાઈ માત્ર સાદી શૈલી ભાષામાં સમજાવી લોક હદય સુધી પહોચી જતા અને છેલ્લે ચેકડેમ કરવાનો સંકલ્પ કરાવીને જ સભાની પુર્ણાહુતી કરતા. આવી હતી ગામે ગામની ભવ્યાતિવ્ય પદયાત્રા.  તલગાજરડા થી પોરબંદર પદયાત્રા :                      સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રયત્નોથી ચાલી રહેલ જળસંચય અભિયાનને વધુ વેગવંતુ બનાવવા  અને તેનો વ્યાપ વધારવાના હેતુથી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા જળસંચય જન-જાગૃતિ અને વૈજ્ઞાનિક સિંચાઈ પધ્ધતિના ઉપયોગનો સંદેશો લઇ તા.૧૮/૧૧/૨૦૧૧ થી તા. ૦૨/૧૨/૨૦૦૧ સુધી વિશ્વવંદનીય સંત શ્રી પૂ. મોરારીબાપુની જન્મભૂમી તલગાજરડા (જી.ભાવનગર) થી પૂજ્ય ગાંધી બાપુની જન્મભૂમી પોરબંદર સુધીની  સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓને આવરી લેતી ૩૫૦ કિ.મી. ની પદયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાના પ્રસ્થાન સમારોહમાં પુ. શ્રી મોરારી બાપુએ આશીર્વચન આપ્યા અને તલગાજરડાના સીમાડા સુધી યાત્રીકોને વળાવવા પણ આવ્યા હતા. આ યાત્રામાં જેમને છેલ્લા ૩ વર્ષોમાં પોતાના ગામમાં જળસંચયનું સંપૂર્ણ કામ કરીને બીજાને કહેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો તેવા ગામની જળસંગ્રહ સમિતિના ૧૫૦૦ થી વધુ સદસ્યો જોડાયા હતા, યાત્રાના રૂટમાં આવતા ૭૨ ગામ પૈકી દરેક ગામની સભામાં આખા ગામના સ્ત્રી-પુરુષો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જળસંચયનો સંદેશો સ્વીકારી જળસંચયની વાત સ્વીકારતા હતા. યાત્રાના રાત્રીરોકાણના કાર્યક્રમમાં  ૫૦૦૦ થી ૧૦૦૦૦ ની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા, જેમને જળસંચય યોજના અપનાવવા માટે સમજાવવામાં આવતા. આ રીતે સમગ્ર પદયાત્રા દરમ્યાન ટ્રસ્ટ દ્વારા સંખ્યાબંધ લોકોનો સીધો સંપર્ક કરી તેમને જળસંચય યોજનાની વાત સમજાવીને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી પદયાત્રામાં મળેલ અદભુત પ્રતિસાદ જેવો જ પ્રતિસાદ લોકોએ આપ્યો. લોકોએ જે ઉમળકો બતાવ્યો તેથી મથુરભાઈ પદયાત્રાનો થાક ઉતરીને ઉત્સાહ બમણો વધતો ચાલ્યો. મહાસંમેલનો : – સુરત ખાતે પ્રથમ ઐતિહાસિક મહાસંમેલન :   સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના જે ગામડાના લોકો સુરતમાં વસવાટ કરે છે તે લોકો તેમના ગામના કામોમાં પ્રસંગોપાત મદદરૂપ થતા હોઈ તથા ગામલોકો તેમની વાત જલ્દીથી સમજી શકતા હોઈ આ લોકો જળસંચય મહાયજ્ઞની જ્યોતિ પોતાના ગામડા સુધી પહોચાડે તેવા હેતુથી સુરત ખાતે તા. ૨૫/૦૩/૨૦૦૦ ના રોજ ભવ્ય  મહાસંમેલનનું આયોજન સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આ મહાસંમેલનમાં માનનીય મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ, કેન્દ્રીય વસ્ત્રમંત્રીશ્રી કાશીરામ રાણા, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, ક્રિકેટરો શ્રી રાજેશ ચૌહાણ તથા સમીર દીધે વગેરે ઉપસ્થિત રહ્યા. આ સંમેલનોમાં મૂળ સૌરાષ્ટ્ર અને કચ્છના સુરતમાં સ્થાયી થયેલા ત્રણ લાખ લોકો હાજર રહ્યા અને તેમણે પોતાના ગામમાં ચેકડેમ યોજના અમલી બનાવવાનો સંદેશો લઈ જવાના સંકલ્પ લીધા હતા. પાણીની કટોકટીને ઉકેલવા માટે આટલી વિશાળ સંખ્યામાં લોકોભેગા થયા હોય તેવું ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બન્યું હતું. – ગઢડામાં મહાસંમેલન :   સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના નેજા હેઠળ ભાવનગર જીલ્લાના ગઢડા મુકામે તા. ૨૯/૦૩/૨૦૦૦ ના રોજ જળસંચય સંમેલન યોજ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મથુરભાઈ સવાણીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, સ્ત્રીઓ, પુરુષો અને યુવાનોને જળસંચય યોજના વિષે સરળ માર્ગદર્શન અને માહિતી આપી. આ ઉપરાંત ઉપસ્થિત પૂજ્ય સંતશ્રી મોરારી બાપુએ ચેકડેમને જળસંગ્રહ રૂપી મહાયજ્ઞના યજ્ઞકુંડમાં ઘી નહિ પણ ગામડાના માનવીનો પરસેવો અને દ્રષ્ટી હોમાઈ રહી છે, તે દ્રષ્ટી એ ચેકડેમ એ ખુબજ મહત્વનો યજ્ઞકુંડ છે . એટલુ જ નહિ પણ તેમને કહ્યું “કુંભ મેળામાં  સ્નાન કરતા પહેલા ચેકડેમમાં સ્નાન કરવાનું પ્રથમ પસંદ કરીશ” તેમ કોલ આપ્યો હતો. આ સંમેલનમાં ૨૫૦૦૦ લોકોએ હાજરી આપી હતી.  જીલ્લા સ્તરના પાંચ જન-જાગૃતિ મહાસંમેલનો :   સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના જળસંચય અભિયાનને મળી રહેલ વ્યાપક સફળતાથી આ અભિયાન ગુજરાતના વધુને વધુ વિસ્તારમાં આગળ વધે અને ગુજરાતના વધુને વધુ લોકો આ અભિયાનમાં સામેલ થઇ જળસંચયનું કામ અપનાવે તેવા હેતુથી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા તા. ૦૧/૧૧/૨૦૦૦ થી તા. ૦૬/૧૧/૨૦૦૦ દરમ્યાન ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર અને ઉતર ગુજરાત ખાતે બનાસકાઠા એમ કુલ પાંચ જિલ્લાઓમાં જન-જાગૃતિ મહાસંમેલનો યોજ્યા હતા. જેમાં દરેક જીલ્લાના મહાસંમેલનમા રાજસ્થાનના જળસંચય ક્ષેત્રે મેગ્સેસે એવોર્ડ વિજેતા શ્રી રાજેન્દ્રસીહ તથા મહારાષ્ટ્રના અગ્રણી સમાજસેવક શ્રી અન્ના હજારે તેમજ અન્ય મહાનુભાવો અને હાજર લોકોની ઉપસ્થિત રહ્યા હતા. – વિકળીયા ગામે જળક્રાંતિ એવોર્ડ તથા જળાભિષેક સમારોહ :   જળસંચય યોજનાને આગળ ધપાવવાના અનેકવિધ કાર્યક્રમો પૈકી તા.૧૯/૦૮/૨૦૦૧ ના રોજ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના નેજા હેઠળ “જળક્રાંતિ એવોર્ડ તથા જળાભિષેક સમારોહ” નો કાર્યક્રમ વિકળીયા (જી. ભાવનગર) ગામે યોજાયો હતો. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના જળસંચય અભિયાનથી પ્રેરાઈને જે ગામોમાં જે ગામોમાં ચેકડેમ યોજનાઓ દ્વારા જળસંચયનું અસરકારક અને અન્ય ગામોને પ્રેરણારૂપ કાર્ય થયું છે તેવા ૧૨૫ ગામોને “જળસંકટ નિવારણ એવોર્ડ” , સૌરાષ્ટ્રમાં સફળ સામુહિક ચેકડેમ યોજનાના બીજ રોપનાર રાજસમઢીયાળા અને ખોપાળા ગામને “જળક્રાંતિ મહાપ્રેરક એવોર્ડ” પોતાના ગામમાં ચેકડેમ યોજનાઓ બને અને જળસંકટ દુર થાય તે માટે આર્થિક સહાય અને ગામલોકોને પ્રોત્સાહન પૂરું પાડનાર હીરાના અગ્રણી ઉદ્યોગપતિઓને “નિઃસ્વાર્થ સહાયક કર્મવીર એવોર્ડ” અને જળસંચય યોજનાઓથી ગુજરાતનું ગામે ગામ હરિયાળું અને સમૃદ્ધ બને તેવા હેતુથી અનેક ગામોને તથા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટને નિઃસ્વાર્થ સહાય કરનાર એવા વિદેશ સ્થિત વતનપ્રેમી શ્રી રાજેશભાઈ વ્રજલાલભાઈ મહેતાને “નિઃસ્વાર્થ શ્રેષ્ઠી સહાયક એવોર્ડ” ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના વરદ્દ હસ્તે તથા સન્માનપત્ર વિશ્વવંદનીય સંત પૂજ્યશ્રી મોરારીબાપુના પવિત્ર હસ્તે એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ વિતરણ સમારોહમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી મળીને અંદાજે એક લાખ લોકોએ હાજરી આપી હતી. દરેકે દરેક વ્યક્તિના ચહેરા ઉપર અનોખી ઉપલબ્ધીનો આનંદ હતો. ભગીરથ સામૂહિક પ્રયાસોથી મેળવેલી સફળતાનો પરિતોષ હતો અને હજી કંઈક કરી નાખવાનો ઉત્સાહ હતો. પૂજય સંત શ્રી મોરારીબાપુએ ગામે ગામના ચેકડેમમાંથી આપેલ લોટીઓના જળથી ઠાકોરજીનો જળાભિષેક કરાવ્યો. ગઢડાખાતે આપેલ કોલ મુજબ ચેકડેમમાં સ્નાન કર્યું. પૂજ્ય મોરારીબાપુએ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા સરોવર ભુશંડી સરોવરના સ્નાનથીય વિશેષ મહત્વ વિકળીયાના ચેકડેમમાં પોતાના સ્નાનને આપ્યું હતું. – સુરત ખાતે બીજું જળસંચય જલ-જાળવણી મહાસંમેલન :   સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે તા.૭/૨/૨૦૦૩ના રોજ જળસંચય અને જળ-જાળવણી અભિયાનના ભાગરૂપે બીજું મહાસંમેલન યોજાયું હતું. જળસંચય અને જળ-જાળવણીનું અભિયાન દક્ષિણ ગુજરાતમાં પણ વેગવંતુ બનાવવાના હેતુથી આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં પ્રખર રામાયણ કથાકાર વિશ્વવંદનીય સંત પૂજ્યશ્રી મોરારીબાપુ તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહી જળસંચય અને જળ-જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આ સંમેલનમાં કેન્દ્રીય વસ્ત્રમંત્રી શ્રીકાશીરામ રાણા, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ અને દક્ષિણ ગુજરાતના રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં લાખની સંખ્યામાં  લોકોએ હાજરી આપીઓ હતી, જેમને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતમાં વધુને વધુ જળસંચયનું કામ આગળ ધપાવવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. – કૃષ્ણગઢ ખાતે જળસંચય જળ-જાળવણી માર્ગદર્શન શિબિર :   સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા તા.૩/૧૧/૨૦૦૩ ના રોજ લાઠી તાલુકાના કૃષ્ણગઢ ખાતે જળસંચય જળ-જાળવણી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પોતાના ગામમાં અસરકારક જળસંચય અભિયાન આગળ વધારનાર ૯૭૫ ગામની ગામ સમિતીનાં સભ્યોએ ભાગ લીધો હતો. આ માર્ગદર્શન શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રીશ્રી કાશીરામ રાણા, ગુજરાત રાજ્યના પાણી પુરવઠામંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ, કૃષિમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગના સચિવ શ્રી એમ.એસ.પટેલ ઉપરાંત પાણી ક્ષેત્રે કામ કરતા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી જળસંચય અને જળ-જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિત લોકોને ચેકડેમ તથા તળાવની જાળવણી અંગે, મોટી નદીઓ પરના ચેકડેમોના કામો સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સહયોગથી આગળ ધપાવવા, રોકેલું પાણી ઊંડા ડારોમાં ઉતરી જતું રોકવા, રોકેલા પાણીનો વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉપયોગ કરવા, પર્યાવરણ જાળવણી તથા વૃક્ષારોપણના કાર્યને આગળ ધપાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ જનજાગૃતિ મહાયજ્ઞ જળસંચય – જળજાળવણી મહાઅભિયાન છેલ્લા ૧૫ વર્ષથી સૌના પ્રયાસથી આગળ ધપી રહ્યું છે. તેના ખુબ સારા પરિણામો મળ્યા છે, તે આપને સૌ જાણીએ છીએ, તેમ છતાં સૌરાષ્ટ્રની ધરતીને પાણીનો કાયમી ઉકેલ નીચેના પાંચ મુદ્દાનાં કાર્યકર્મમાં સમાયેલો હતો જે નીચે મુજબ મુદ્દા હતા ૧. જળસંચય, ૨. દરેક ખેતરમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી, ૩. બિન ઉપયોગી બોરનું વિસર્જન, ૪. નર્મદાનું જળ સૌરાષ્ટ્રમાં, ૫. કલ્પસર યોજના. ઉપર મુજબનાં પાંચેય મુદ્દાને ધ્યાનમાં રાખીને એક વિશેષ કાર્યક્રમ “સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ જનજાગૃતિ મહાયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં સૌરાષ્ટ્રનાં ૪૮૦૦ ગામો અને નગરોને જોડીને પાણી વિશે એક વિશેષ જન-જાગૃતિ લાવવાનો ઉદેશ્ય હતો. જેમાં ખેડુતો વરસાદી પાણી રોકવા બનેલા વાસણોની જાળવણી કરે, બાકી રહેલા ગામોમાં જળસંચયના કામો કાર્યરત થાય, તેમજ વૃક્ષારોપણ અને તેનું જતન થાય, દરેક ખેતરમાં ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતી થાય અને તેની વિશેષ જન-જાગૃતિ આવે. સરકારશ્રીએ નર્મદાના પાણીથી ૧૧૫ ડેમો અને નદીઓ ભરવાની યોજના બનાવી છે. આ યોજનાનું નામ સૌની યોજના છે. આ કાર્યક્રમથી આ યોજનાની વિશેષ જાણકારી સૌને મળી અને યોજના નિર્ધારિત સમયમાં પૂરી થાય તેવો માહોલ પેદા થયો. સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ જન જાગૃતિ મહાયજ્ઞ તા.૫-૫-૨૦૧૩ ને રવિવારનાં રોજ ગોંડલ તાલુકાનાં દેવળા ગમે ભાદર ડેમનાં પટમાં આયોજન કરાયું હતું. ઉપર મુજબના તમામ મુદ્દાઓની વિશેષ જાગૃતિ આવે તેને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી કાર્યક્રમ સ્થળે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું, યજ્ઞના મંત્રોઉંચ્ચાર ખાસ અલગ પ્રકારના રાખવામાં આવ્યા હતા જેવા કે ૧. નર્મદા ડેમનાં દરવાજા વહેલી તકે ચડાવવાની શક્તિ નિર્ણાયક લોકોને પ્રાપ્ત થાય ઓઉમ સ્વ હા……… આવા અલગ અલગ પ્રકારના મંત્રોઉંચ્ચાર બોલવામાં આવ્યા હતા.સૌરાષ્ટ્રના તમામ ગામોને જોડવાનો ઉદ્દેશ હોવાથી દરેક તાલુકામાં એક એક કળશ આપવામાં આવ્યો હતો તે કળશ માં દરેક તાલુકાના તમામ ગામોના તળાવો અને નદિઓની માટી તેમજ ગામના હનુમાનજી મહારાજ નો સિંદુર એકઠો કરવામાં આવ્યો હતો સુરત થી સંખ્યાબંધ મોટરકારના કાફલા સાથેનર્મદાનું જળ લઈ યાત્રા કાર્યક્રમના સ્થળે પહોચી હતી સ્થળ ઉપર હનુમાનજી મહારાજની એક વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, કાર્યક્રમ સ્થળે જળસંચય ને લાગતું એક વિશાલ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, આ યજ્ઞમાં ૪૮૦૦ ગામો અને નગરોનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌરાષ્ટ્રનાં ૪૮૦૦ ગામમાંથી ૪૦૦૦ ગામના લોકો સુરતમાં રહે છે. સુરતમાં રહેતા તમામ ગામના બે પ્રતિનિધિઓ અને મુખ્ય આગેવાનો મળીને ૧૦,૦૦૦ લોકોની યજ્ઞ આયોજન સમિતી બની હતી. સુરતમાં રહેતા ૧૦,૦૦૦ આગેવાનો દ્વારા સૌરાષ્ટ્રના તમમાં ગામોમાં ૧૧ લોકોની ગામ સમિતી બનવવામાં આવેલ હતી. તમામ તાલુકાનાં આગેવાનો અને ગામ સમિતિના આગેવાનો મળીને ૫૫,૦૦૦ આગેવાનો કાર્યરત થયા હતા. પાણી માટેનો આ યજ્ઞ એ એક ઈશ્વરીય કાર્ય હતું. આ કાર્યને તમામ ગામનો ખુબ સારો સહયોગ મળ્યો હતો. અને કાર્યક્રમ સફળ બન્યો હતો